મચ્છર પુરાણ - પાર્ટ ૩

About:

Dr. Bharatkumar Bhate is M.S. General Surgeon (Gold Medalist) by qualification with an experience of 30,000+ operations and is based at Rajkot, Gujarat. He is an avid reader and a passionate writer. In this blog, he shares his travel experiences and creative writings.

Connect on Facebook: https://www.facebook.com/DrBhateRajkot

મચ્છર પુરાણ - પાર્ટ ૩:



ડેન્ગ્યુ તાવ

પ્રસ્તાવના:
ભારતમાં દર વર્ષે ૧૬મી મેના દિવસે 'નેશનલ ડેન્ગ્યુ ડે' ઉજવવામાં આવે છે.

આજના સમયમાં ડેન્ગ્યુનો તાવ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ઉભરી આવ્યો છે અને તેને ૧૦૦ થી વધુ દેશોમાં સ્થાન જમાવેલ છે. ૨૦૨૩ દરમિયાન, ૫ મિલિયનથી વધુ ચેપ નોંધાયા હતા, જેમાં ૫૦૦૦ થી વધુ ડેન્ગ્યુ સંબંધિત મૃત્યુ થયા હતા. મોટાભાગના કેસો એસિમ્પટમેટિક અથવા હળવા હોવાથી, ડેન્ગ્યુના કેસો અને મૃત્યુની વાસ્તવિક સંખ્યા ઓછી નોંધાઈ છે. 

ડેન્ગ્યુ નો તાવ ખાસ કરીને વરસાદી મોસમમાં ઝડપથી ફેલાય છે અને અનેક લોકોના જીવન માટે જોખમ ઊભું કરે છે. ડેન્ગ્યુ તાવ એ મચ્છર મારફત ફેલાતો વાયરલ ચેપ છે. 
ડેન્ગ્યુના મચ્છર નું આયુષ્ય ફક્ત ૧૪ દિવસનું હોય છે અને તે દરમિયાન તે ત્રણ વખત માં ૩૦૦ જેટલા અંડા આપે છે

ડેન્ગ્યુ વાયરસ (DENV) એ Flaviviridae પરિવારનો RNA વાયરસ છે. ચાર પ્રકારના ડેન્ગ્યુ વાયરસ (DENV-1 થી DENV-4) માંથી કોઈપણને કારણે ડેન્ગ્યુની બીમારી થાય છે. ડેન્ગ્યુ ની બીમારી થયેલ વ્યક્તિને જ્યારે મચ્છર ડંખે છે ત્યારે તે વાયરસ મચ્છરના શરીરમાં જાય છે અને પછી તે મચ્છર જ્યારે બીજાને ડંખે છે ત્યારે તે વાયરસ એ વ્યક્તિ ના શરીરમાં પ્રવેશ કરે છે અને તેને પણ ડેન્ગ્યુ થાય છે. મચ્છર જીવનભર ચેપગ્રસ્ત રહે છે પરંતુ વાયરસ ની મચ્છર પર કોઈ હાનિકારક અસર થતી નથી, 

આ રોગ મુખ્યત્વે એડીસ ઇજિપ્તી (Aedes aegypti) જાતિના માદા મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર દિવસના સમયે કરડે છે અને તે સ્વચ્છ પાણીમાં પેદા થાય છે. ડેન્ગ્યુનું પ્રમાણ ચોમાસા અને તેના પછીના સમયમાં વધુ જોવા મળે છે, કારણ કે આ સમયે મચ્છરોની સંખ્યા વધે છે. આ રોગ એવા વિસ્તારોમાં વધુ સંભવ છે જ્યાં આ રોગ સ્થાનિક છે, ખાસ કરીને જ્યાં વસ્તીની ગીચતા વધુ હોય, સ્વચ્છતા નબળી હોય અને પાણી ભરાયેલું હોય જ્યાં મચ્છર પ્રજનન કરી શકે છે. 

યાદ રહે, એક જ ડંખ દ્વારા ડેન્ગ્યુનો ચેપ લાગી શકે છે. તેમજ ગર્ભવતી સ્ત્રીના બાળકને પણ ચેપ લાગી શકે છે.

ડેન્ગ્યુના લક્ષણો: 

ડેન્ગ્યુ તાવના લક્ષણો સામાન્ય રીતે વાઇરસનો ચેપ લાગ્યાના ૪ થી ૧૦ દિવસ પછી દેખાય છે. ડેન્ગ્યુ નો તાવ સામાન્ય પણે ૩ થી ૭ દિવસ સુધી રહે છે.તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:

તીવ્ર તાવ: અચાનક અને ખૂબ ઊંચો તાવ (104°F અથવા 40°C સુધી). તાવ સાથે ઠંડી - ધ્રુજારી આવે છે.

માથાનો દુખાવો: ખાસ કરીને આંખોની પાછળના ભાગમાં તીવ્ર દુખાવો.

શરીરમાં દુખાવો: હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓમાં તીવ્ર દુખાવો, જેને "બ્રેકબોન ફીવર" પણ કહેવાય છે.

ત્વચા પર ફોલ્લીઓ: લાલ ફોલ્લીઓ અથવા દાણા જેવી ફોલ્લીઓ.


ઉબકા અને ઊલટી: ખાવાની ઈચ્છા ન થવી અને ઊલટી થવી.

અશક્તિ: ખૂબ જ નબળાઈ અને થાક લાગવો.

ગંભીર કિસ્સાઓમાં, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અથવા ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ થઈ શકે છે. લોહીમાં પ્લેટલેટ નામના રક્તકણ ખૂબ જ ઘટી જવાથી લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ધીમી પડે છે અને રક્તસ્ત્રાવ થાય છે. આગળ જતા બ્લડ પ્રેશરમાં ઘટાડો થઈ શકે છે જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ઝાડામાં, પેશાબમાં કે નાકમાંથી લોહી નીકળતું હોય તો તે આંતરિક રક્તસ્ત્રાવનું સૂચક છે. આથી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડે. જેમને લોહી પાતળું કરવાની દવા લેવી પડતી હોય તેવા દર્દીઓમાં ડેન્ગ્યુ નો તાવ વધારે ઘાતક નીવડે છે.

૨૦૧૨ માં ફિલ્મ ડિરેક્ટર યશ ચોપરાને ડેન્ગ્યુ થયા પછી સારવાર માટે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં મલ્ટી ઑર્ગન ફેલ્યોરને કારણે તેમનું ૨૧ ઑક્ટોબરે તેમનું અવસાન થયું હતું.

ડેન્ગ્યુનું નિદાન:

ડેન્ગ્યુ તાવના હળવા કેસોના લક્ષણો ઓરી, ઈન્ફ્લુએનઝા, ચિકનગુનિયા અને ઝિકા સહિત અનેક સામાન્ય રોગો સાથે મળતા આવે છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા એક જ પ્રકારના એડીઝ મચ્છર દ્વારા ફેલાય છે અને ઘણીવાર તે જ પ્રદેશોમાં સ્થાનિક હોય છે, જેથી એક કરતાં વધુ રોગોથી એક સાથે ચેપ લાગવાની પણ શક્યતા રહે છે. 

ડેન્ગ્યુ માટે લેબોરેટરી ટેસ્ટ:

ડેન્ગ્યુના નિદાન માટેના ચોક્કસ પરીક્ષણો વિશે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે બે પ્રકારની પરીક્ષણ પદ્ધતિ છે.
(૧) રોગનાં લક્ષણો જોવાં મળ્યાંના પાંચ દિવસની અંદર ડેન્ગ્યુ ઍન્ટીજન શોધવા માટેનું પરીક્ષણ છે NS1

(૨) પાંચ દિવસના સમયગાળા પછી ડેન્ગ્યુ ઍન્ટીબૉડી શોધવા માટેનું પરીક્ષણ IGM. ડેન્ગ્યુ IgM ટેસ્ટ એ રક્ત પરીક્ષણ છે જે શરીર દ્વારા ઉત્પાદિત IgM એન્ટિબોડીઝને શોધી કાઢે છે જ્યારે તે ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત થાય છે. IgM એ ડેન્ગ્યુના ચેપના પ્રતિભાવમાં ઉત્પન્ન થનારી પ્રથમ એન્ટિબોડી છે અને વાયરસના સંપર્કમાં આવ્યાના થોડા દિવસોમાં લોહીમાં શોધી શકાય છે. IgM એન્ટિબોડીઝની હાજરી સૂચવે છે કે વ્યક્તિને તાજેતરમાં ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે.  

(૩) ઉપરાંત લોહીના પરીક્ષણ માં જો પ્લેટલેટ માં ઘટાડો અને હેમેટોક્રિટ માં વધારો થતો હોય તો ડેન્ગ્યુ હોવાની સંભાવના વધારે છે.

ડેન્ગ્યુ કેવી રીતે નુકસાન કરે છે?

ડેન્ગ્યુ ના વાયરસ સામે લડત આપવા માટે મનુષ્યનું શરીર પ્રથમ ડેન્ગ્યુના પ્રકાર અને રચનાનો અભ્યાસ કરે છે અને તેની સામે Antibody તૈયાર કરે છે જે ડેન્ગ્યુના વાયરસ ને મારી નાખે છે. પરંતુ આ પ્રક્રિયા થવામાં થોડો સમય નીકળી જાય છે અને તે દરમિયાન ડેન્ગ્યુના વાયરસ લોહીના Platelets નામના રક્તકણ માં વિકાસ પામે છે જેમાં તેનો ઝડપી ગુણાકાર થાય છે. છેવટે પ્લેટલેટ ફાટી જાય છે અને તેમાંથી અસંખ્ય ડેન્ગ્યુના વાયરસ લોહીમાં ઠલવાય છે. આ દરેક વાયરસ હવે નવા પ્લેટલેટ માં પ્રવેશ કરે છે અને ગુણાકાર કરે છે અને ફરીવાર પ્લેટલેટ ફાટી જાય છે અને આ પ્રક્રિયા વારંવાર થતી હોવાથી પ્લેટલેટ ની સંખ્યા ખૂબ જ ઘટી જાય છે. શરીરના હાડકામાં રહેલ બોનમેરો દ્વારા દરરોજ કરોડોની સંખ્યામાં નવા પ્લેટલેટ બને છે અને તેમ છતાં વાયરસ નો ગુણાકાર તેથી વધારે ઝડપી હોવાથી પ્લેટલેટ ની સંખ્યા લોહીમાં ઘટી જાય છે. પ્લેટલેટ નું કામ લોહી ગંઠાવામાં મદદ કરવાનું હોવાથી પ્લેટલેટ ઘટે છે ત્યારે રક્તસ્ત્રાવ થાય છે. આ જોખમ ઊભું થાય તે પહેલા જ શરીર દ્વારા રોગપ્રતિકારક Antibody તૈયાર થાય તો ડેન્ગ્યુ આશરે ચાર પાંચ દિવસમાં મટી જાય છે. સામાન્ય પણે લોહીમાં પ્લેટલેટ ની સંખ્યા ૧,૫૦,૦૦૦ થી ૪,૦૦,૦૦૦ ની હોય છે જે ડેન્ગ્યુમાં ઘટીને જ્યારે ૨૦,૦૦૦ ની નીચે જાય છે ત્યારે રક્તસ્રાવનું જોખમ ઊભું થાય છે. 

ડેન્ગ્યુ અને રક્તકણો:

જ્યારે ડેન્ગ્યુ નું સંક્રમણ તેનાં લક્ષણો બતાવવા લાગે ત્યારથી સાત દિવસ સુધી પ્લેટલેટ ની સંખ્યા ઘટે જ છે. આ સાત દિવસ સુધી ઘટ્યા પછી પ્લેટલેટ વધવાનું આપોઆપ શરૂ થાય છે. આ દિવસે એમ સમજી લેવું કે ડેન્ગ્યુ મટી ગયેલ છે.

પ્લેટલેટ ઉપરાંત શ્વેતકણોની સંખ્યા ખૂબ જ મહત્ત્વની હોય છે. શ્વેતકણો ઘટી ગયા પછી જ્યારે વધવાના શરૂ થાય ત્યારે દર્દીને ડેન્ગ્યુ મટી ગયો છે તેમ સમજવું.

સારવાર અને ઉપચાર

ડેન્ગ્યુની કોઈ ચોક્કસ દવા નથી, તેથી તેની સારવાર મુખ્યત્વે લક્ષણોને નિયંત્રિત કરવા માટે થાય છે. 

આરામ: દર્દીને વધારેમાં વધારે આરામ કરવો જોઈએ.

પ્રવાહી: શરીરમાં પાણીની ઉણપ ન થાય એ માટે પ્રવાહીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે. પુષ્કળ પાણી, ફળોનો રસ અને સૂપ જેવા પ્રવાહી પીવા જોઈએ. 

તાવ માટે દવાઓ: તાવ અને શરીરના દુખાવા માટે પેરાસિટામોલ લઈ શકાય છે. એસ્પીરીન અને આઇબુપ્રોફેન જેવી દવાઓ ન લેવી જોઈએ, કારણ કે તે લોહી પાતળું કરી શકે છે અને રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે.

ડૉક્ટરની સલાહ: જો લક્ષણો ગંભીર લાગે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. ગંભીર સ્થિતિમાં દર્દીને તત્કાલ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. દર્દીના શરીરમાં પ્લેટલેટ ની સંખ્યા ૨૦,૦૦૦ થી નીચે જાય ત્યારે તેને બ્લડ બેન્કમાંથી પ્લેટલેટ મંગાવીને ચડાવામાં આવે છે. 

રોગપ્રતિકારક શક્તિ:

ચાર પ્રકારના ડેન્ગ્યુ વાયરસ (DENV-1 થી DENV-4) માંથી એક પ્રકારનો ચેપ સામાન્ય રીતે તે પ્રકારને આજીવન રોગપ્રતિકારક શક્તિ આપે છે , પરંતુ બીજા પ્રકારને ફક્ત ટૂંકા ગાળાની રોગપ્રતિકારક શક્તિ આપે છે. બીજા પ્રકાર સાથેના ચેપથી ગંભીર બીમારીનું જોખમ વધે છે.

ડેન્ગ્યુની રસી: 

બે પ્રકારની ડેન્ગ્યુની રસી મંજૂર કરવામાં આવી છે અને તે વ્યાપારી રીતે ઉપલબ્ધ છે.

(૧)'ડેંગવેક્સિયા' નામની રસી ૨૦૧૬ માં ઉપલબ્ધ થઈ હતી, પરંતુ તે ફક્ત તેવા વ્યક્તિઓમાં ભલામણ કરવામાં આવે છે જેમને અગાઉ ચેપ લાગ્યો હોય. 
(૨) બીજી રસી 'ક્યુડેન્ગા' ૨૦૨૨ માં ઉપલબ્ધ થઈ હતી અને તે પુખ્ત વયના લોકો, કિશોરો અને ચાર વર્ષની ઉંમરના બાળકો માટે યોગ્ય છે. પહેલેથી જ ઉપલબ્ધ આ બે રસીઓ ઉપરાંત ઘણી રસી વિકાસ હેઠળ છે.

ડેન્ગ્યુ કેવી રીતે રોકશો? 

ડેન્ગ્યુ તાવની રોકથામ માટે નીચેના પગલાં લેશો તો સારી રીતે બચાવ કરી શકાય:

આસપાસ કે ઘર આંગણામાં ખાબોચિયા માં ભરાયેલા સ્થિર પાણીને દૂર કરો

મચ્છરજન્ય પ્રજનન સ્થાનો નष्ट કરો

મચ્છરદાની અને મચ્છર ભગાડનાર ક્રીમ નો ઉપયોગ કરો

આખા હાથ અને પગ ઢાંકી શકાય એવા કપડાં પહેરો

ભીંજાય તેવા વાસણો ઢાંકીને રાખો

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી ફોગિંગ કે દવા છાંટવાની પ્રવૃત્તિમાં સહભાગી બનો. સુધરાઈ તથા કોર્પોરેશન દ્વારા વરસાદની સિઝનબાગ હોસ્પિટલો તથા ઓફિસની ચકાસણી કરવામાં આવે છે અને જ્યાં મચ્છરના 'લારવા' મળી આવે છે તેવી જગ્યા સીલ કરે છે અથવા મોટો દંડ કરે છે.

ડેન્ગ્યુ મટી ગયા પછી શું ધ્યાન રાખવું?

ડેન્ગ્યુમાં થી સાજા થયા પછી દર્દીને ઘણી નબળાઈ રહી જતી હોય છે. આવા સમયે તેમને થાક ખૂબ લાગતો હોય છે. આ બધી બાબતો માટે તમારા તબીબના સંપર્કમાં રહો અને જો થાક કે નબળાઈની સમસ્યા વધારે હોય તો તેમના માર્ગદર્શન મુજબ દવા લો. જાતે જ પેઇન કિલર કે શક્તિની દવાઓ ના લેવી.

બીજી એક સામાન્ય સમસ્યા એટલે વાળ ઊતરવાની સમસ્યા. સામાન્ય રીતે આ પ્રકારના ભારે તાવ પછી ઘણા દર્દીઓને થતી હોય છે. આવા સમયે વાળ ખરતા રોકાય નહીં તો ડૉક્ટરને બતાવી દવા શરૂ કરો.

અંતમાં વાચકોને વિનંતી કે આ લેખ આપને કેવો લાગ્યો એનો પ્રતિભાવ આપશો.

ડોક્ટર ભરતકુમાર ભાટે 
9227688711
bcbhate@gmail.com